કેન્દ્ર સરકારે છઠ્ઠી ઓક્ટોબરે દિનેશ ખારાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે ત્રણ વર્ષના સમયગાળા માટે નિમણૂક કરી હતી. તેમની નિમણૂક સાતમી ઓક્ટોબરથી લાગુ પડશે. ખારા અત્યાર સુધી મેનેજિંગ ડિરેક્ટર ઇન-ચાર્જ ઓફ ગ્લોબલ બેંકિંગ એન્ડ સબસિડરીઝ હતા. કેન્દ્રીય નાણા મંત્રાલયે આ સંબંધમાં જાહેરાત કરી હતી.
એસબીઆઈના તત્કાલીન ચીફ રજનીશકુમારને એક્સટેન્શન આપવામાં નહીં આવે એમ થોડા દિવસ પહેલાં જ નિશ્ચિત થઈ ગયું હતું. તેમની મુદત છઠ્ઠી ઓક્ટોબરે પૂરી થઈ હતી. દિનેશ ખારા બુધવારથી રજનીશકુમારના સ્થાને ચાર્જ સંભાળશે. કોરોનાકાળમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે ખારાને આ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
તેઓ એસબીઆઈમાં પ્રોબેશનરી ઓફિસર તરીકે ૧૯૮૪માં જોડાયા હતા અને તેઓે રિટેઇલ ક્રેડિટ, એસએમઈ, કોર્પોરેટ ક્રેડિટ, ડિપોઝિટ મોબિલાઈઝેશન, ઇન્ટરનેશનલ બેંકિંગ ઓપરેશન્સ અને બ્રાન્ચ મેનેજમેન્ટ સહિત બેંકિંગમાં દરેક પ્રકારનો અનુભવ ધરાવે છે. ખારા એસબીઆઈ વર્તુળોમાં જનરલ બેંકિંગ સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા છે.
ખારા એફએમએસ નવી દિલ્હીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કર્યું છે અને કોમર્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓ સર્ટિફાઇડ એસોસિયેટ ઓફ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ બેંકર્સ પણ છે.