‘જે ઘરેથી આજે દીકરીના લગ્નની ડોલી ઉઠવાની હતી, ત્યાંથી પિતાની અર્થી ઉઠી, મહેંદીવાળા હાથે પિતાને કાંધ આપી’

    0
    2

    વેરાવળમાં લાડકી દીકરીના કન્યાદાનના એક દિવસ પહેલાં જ પિતાનું હાર્ટ અટેકથી મૃત્યું થયું હતું. દીકરીએ સ્વર્ગસ્થ પિતાને અગ્નિદાહ આપતાં હાજર સૌ કોઈની આંખમાંથી અશ્રુ વહેતાં થયાં હતા. સોમનાથ ભૂમિના રઘુવંશી પરિવારમાં ખુશીના માહોલ વચ્ચે મોભીની અણધારી વિદાયથી ગમગીની પ્રસરી હતી.

    વેરાવળના બિહારીનગરમાં રહેતા અને જંતુનાશક દવાના રઘુવંશી વેપારી અશોકભાઈ પ્રાણજીવનદાસ તન્ના (ઉ.વ.62) નિસંતાન હોવાથી તેમના નાના ભાઈની દીકરી આયુશીને બાળપણથી જ પોતાની પાસે વેરાવળ રાખી પ્રેમ સ્નેહથી ઉછેરીને ભણાવી ગણાવી મોટી કરી હતી. દીકરી અમદાવાદ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી.

    આ દીકરી આયુશના લગ્ન આજે તા.7ના રોજ લેવાયા હોવાથી રધુવંશી પરિવાર લાડકવાયી દીકરીના લગ્ન સમારોહની ઉત્સાહભેર તૈયારી કરી રહ્યો હતો. લાડકવાયી દીકરીનું કન્યાદાન કરવા પિતાના હૈયે હરખ સાથે ખુશી છલકાતી જોવા મળતી હતી. દરમિયાન દીકરીના લગ્નના આગલા દિવસે એટલે કે રવિવારે સવારે વેપારી અશોકભાઈ તન્નાની એકાએક તબિયત બગડતાં શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જેથી વેરાવળની ખાનગી હોસ્પિટલે લઈ જવાયા હતા. જ્યાં તબીબે વધુ સારવાર અને રિપોર્ટ અર્થે રાજકોટ લઈ જવાનું જણાવ્યું હતું.

    પરિવારજનો તરત એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ લઈ જઈ રહ્યા હતા. ત્યારે ગોંડલ આસપાસ અશોકભાઈનું મૃત્યું થયું હતું. આ સમાચારથી ખુશીમાં થનગનતા રઘુવંશી પરિવાર તથા લોહાણા સમાજમાં ભારે શોકની લાગ્ણી પ્રસરી ગઈ હતી.

    વેપારી અશોકભાઈના મૃતદેહને રાત્રિના દસેક વાગ્યે તેમના નિવાસ સ્થાને લઈ આવવામાં આવ્યો ત્યારે પરિવારજનોના હૃદયફાટ આક્રંદનાં દ્રશ્યો જોઈ ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. ત્યારબાદ લાડકી દીકરી આયુશીએ અશ્રુઓની વહેતી ધરા સાથે તેના સ્વર્ગસ્થ પિતાને કાંધ આપી સ્મશાનયાત્રામાં જોડાઈ સ્મશાનઘાટ ખાતે જઈ અગ્નિદાહ આપ્યો હતો.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here