હાથરસ ગેંગરેપ પીડિતના પરિવારને મળવા જઇ રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ગુરુવારે રોકવામાં આવ્યા હતા. ગ્રેટર નોઇડા નજીક રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની ધરપકડ કરવામાં આવી હતી, તેમના પર એફઆઈઆર નોંધાઈ હતી. આ રાજકીય નાટકના બીજા જ દિવસે એટલે કે, આજે રાહુલ ગાંધીએ ગાંધી જયંતી નિમિત્તે સરકાર પર પ્રહાર કર્યા છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીએ કહેલી એક વાતને ટ્વીટ કરીને લખ્યું કે, ‘હું દુનિયામાં કોઈનાથી ડરીશ નહીં…હું કોઈના અન્યાયની સામે ઝૂકીશ નહીં, હું અસત્યને સત્યથી જીતીશ અને અસત્યનો વિરોધ કરતા હું તમામ વેદનાને સહન કરી શકું છું. ગાંધી જયંતિને શુભકામનાઓ. #GandhiJayanti
આપને જણાવી દઇએ કે બુધવારે હાથરસની ઘટના અંગે એક મોટો રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની આગેવાની હેઠળ હજારો કોંગ્રેસ કાર્યકરો હાથરસ માટે રવાના થયા, પરંતુ ગ્રેટર નોઈડાથી આગળ વધી શક્યા નહીં.
જોકે કોંગ્રેસના કાર્યકરો અને યુપી પોલીસની વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારબાદ પોલીસે પહેલા રાહુલ અને પ્રિયંકાની અટકાયત કરી હતી અને ત્યારબાદ તેમની ધરપકડ કરી હતી. જોકે, થોડા સમય પછી પોલીસે બંને નેતાઓને દિલ્હી બોર્ડર પર છોડી દીધા હતા.
ત્યારબાદ પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના 203 નેતાઓ સામે એફઆઈઆર નોંધી છે. ગૌતમબુદ્ધ નગર પોલીસે ગુનો દાખલ કર્યો છે.