ખેડૂત આંદોલનનો 12મો દિવસ LIVE:કેજરીવાલ સિંધુ બોર્ડર પર ખેડૂતોને મળ્યા, કહ્યું- કેન્દ્રએ 9 સ્ટેડિયમને જેલ બનાવવા માટે દબાણ કર્યું હતું

    0
    1

    ત્રણ નવા ખેડૂત કાયદાને પાછા લેવાની માગ સાથે દિલ્હીની સરહદ પર ખડેપગે ખેડૂતોના આંદોલનનો આજે 12મો દિવસ છે. તો આ તરફ કેજરીવાલ ખેડૂતોને મળવા માટે સિંધુ બોર્ડર પહોંચ્યા છે. તેમની સાથે મનીષ સિસોદિયા પણ છે. તેમણે કહ્યું હતું કે ‘ખેડૂતોનો મુદ્દો અને સંઘર્ષ યોગ્ય છે. અમે ખેડૂતોના સંઘર્ષમાં શરૂઆતથી જ સાથે રહ્યા છીએ. કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસે અમારી પાસે 9 સ્ટેડિયમને જેલ બનાવવાની મંજૂરી માગી હતી. અમારી પર દબાણ કર્યું હતું, પણ અમે મંજૂરી નહોતી આપી’, કેન્દ્ર ઈચ્છે છે કે ખેડૂતો દિલ્હી આવે અને તેમને જેલમાં નાખી દેવાય.

    આ આંદોલનને પંજાબ-હરિયાણાથી માંડી વિદેશોથી પણ સમર્થન મળી રહ્યું છે. પંજાબના ખેલાડી અને કલાકારોએ જાહેરાત કરી છે કે તેઓ આજે અવૉર્ડ પરત કરશે. ઓલિમ્પિક મેડાલિસ્ટ બોક્સર વિજેન્દર સિંહે રવિવારે કહ્યું હતું કે કાયદો પાછો નહીં લેવામાં આવે તો તે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર પરત આપી દેશે

    અત્યારસુધીમાં કયા કયા સ્પોર્ટ્સ પર્સને અવૉર્ડ પરત કરવાની જાહેરાત કરી

    ખેલાડી/કોચઅવૉર્ડ
    વિજેન્દર સિંહ, બોક્સિંગખેલ રત્ન
    ગુરબખ્શ સિંહ સંધુ, બોક્સિંગદ્રોણાચાર્ય અવૉર્ડ
    કરતાર સિંહ, કુશ્તીપદ્મશ્રી, અર્જુન અવૉર્ડ
    સજ્જન સિંહ ચીમા, બાસ્કેટ બોલઅર્જુન અવૉર્ડ
    રાજબીર કોર, હોકીઅર્જુન અવૉર્ડ

    અપડેટ્સ

    • લખનઉમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના ઘરની બહાર પોલીસ લગાવી દેવાઈ છે. અખિલેશ આજે ખેડૂતોના સમર્થનમાં કન્નૌજના ધરણાંસ્થળ પર જવાના છે.
    • નોઈડાથી દિલ્હી જવા માટે ચિલ્લા બોર્ડરથી એન્ટ્રી બંધ છે. એક ટ્રાફિક-પોલીસે કહ્યું હતું કે દિલ્હી આવવા માટે નોઈડા લિંક રોડની જગ્યાએ DNDનો ઉપયોગ કરો
    • NH-24 પર ગાજીપુર બોર્ડર બંધ છે. ગાઝિયાબાદથી દિલ્હી આવનારને NH-24ની જગ્યાએ અપ્સરા, ભોપરા અથવા DNDના રસ્તે આવવાની સલાહ આપવામાં આવી છે.

    બંધ દરમિયાન એમ્બ્યુલન્સ અને લગ્નવાળી ગાડીઓ અવરજવર કરી શકશે
    ખેડૂત પહેલાં જ કહી ચૂક્યા છે કે 8 ડિસેમ્બર એટલે કે મંગળવારે ભારત બંધ કરશે, જેના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષ અને 10 ટ્રેડ યુનિયન્સ ઊતરી આવ્યા છે. વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ 9 ડિસેમ્બરે રાષ્ટ્રપતિને મળવા માટે સમય માગ્યો છે. તો આ તરફ ખેડૂત નેતા બલદેવ સિંહ નિહાલગઢે જણાવ્યું હતું કે મંગળવારે બંધ સવારથી સાંજ સુધી અને ચક્કાજામ બપોરે 3 વાગ્યા સુધી રહેશે. એમ્બ્યુલન્સ અને લગ્નવાળી ગાડીઓ અવરજવર કરી શકશે.

    ખેડૂતોનો હવે પછીનો ટાર્ગેટ- બદરપુર બોર્ડર પર ધામા નાખવાનો છે
    ખેડૂતો અને સરકાર વચ્ચે યોજાયેલી પાંચમા તબક્કાની વાતચીત પછી પણ કોઈ રસ્તો નીકળી શક્યો નથી. પોતાની માગ અંગે દિલ્હીની ઘણી બોર્ડર પર ખેડૂતોએ ધામા નાખ્યા છે. 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત પણ કરી ચૂક્યા છે. તેમનો હવે પછીનો ટાર્ગેટ બદરપુર બોર્ડરને બંધ કરવાનો છે. આ અંગે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ છે. પોલીસ પણ પોતાના સ્તરે ખેડૂતોની સ્ટ્રેટેજી જાણવાનો પ્રયાસ કરી રહી છે.

    પંજાબની મહિલાઓએ કહ્યું, હરિયાણામાં જમાઈ જેવું સ્વાગત થઈ રહ્યું છે
    હરિયાણાના લોકો દિવસ-રાત ખેડૂતોની સેવામાં લાગી ગયા છે. આંદોલનમાં આવેલી મહિલાઓ અને ખેડૂતો માટે દિલ્હી બોર્ડર પાસે આવેલા હરિયાણાનાં ઘણાં ગામના લોકોએ તેમના દરવાજા ખોલી દીધા છે. તેમણે પંજાબની મહિલાઓને તેમનાં ઘરે રહેવા, સૂવા, નાહવા માટે દરેક પ્રકારની સુવિધા આપી છે. અમુક મહિલાઓએ તો એવું પણ કહી દીધું કે હરિયાણામાં એવું સન્માન મળી રહ્યું છે જેવું સાસરીમાં જમાઈને મળે છે. રહેવા, જમવા અને પહેરવા માટે કપડાં પણ આપ્યાં.

    મોબાઈલ એપ પર આંદોલન માટે મીટિંગ કરે છે ખેડૂત મહિલાઓ
    આંદોલનમાં બાળકો અને મહિલાઓથી માંડી વૃદ્ધા સુધી સામેલ છે. આંદોલનમાં પોતાની ભૂમિકા પર વાત કરવા માટે મહિલાઓ મોબાઈલ એપ દ્વારા મીટિંગ કરે છે. લગભગ 70 વર્ષના એક વૃદ્ધ કહે છે કે પંજાબ મોટા ભાઈ અને હરિયાણા નાના ભાઈ છે, બન્ને સાથે છે તો હવે પાઠ ભણાવી જ દઈશું. એક વૃદ્ધે કહ્યું, જોશ સાથે હોશ જરૂરી છે. આ ભવિષ્યની લડાઈ છે, શાંતિથી લડવામાં આવશે.

    કૃષિ રાજ્ય મંત્રીએ કહ્યું- કાયદો પાછો લેવાની જરૂર નથી, સુધારો કરી શકીએ છીએ
    કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ રવિવારે કહ્યું, હું નથી માનતો કે સાચા ખેડૂતો જે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા છે તેઓ આ વાતથી ચિંતિત છે. અમુક રાજકીય લોકો આગમાં ઘી હોમી રહ્યા છે. મને નથી લાગતું કે કાયદો પાછો લેવો જોઈએ. જરૂર પડ્યે તેમાં અમુક સુધારા થઈ શકે છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here