- FGSCDAના પ્રેસિડેન્ટ અલ્પેશ પટેલે કહ્યું, રાજ્યભરના દવાના માર્કેટમાં વેચાણમાં છેલ્લા 8 મહિનામાં 100 ટકાનો વધારો જોવા મળ્યો
- ખાસ કરીને શરદી, ખાસી, તાવની દવાના વેચાણમાં 80 ટકા જેટલો વધારો નોંધાયો છે
રાજ્યમાં કોરોના મહામારીને પગલે લોકોના સ્વાસ્થ્ય પર મોટી અસર જોવા મળી રહી છે. ત્યારે હજુ સુધી કોરોના વાઈરસની કોઇ રસી બની ન હોવાથી માત્ર માસ્ક જ કોરોના જેવા ભયંકર વાઈરસ સાથે રક્ષણ આપવાનું કામ કરે છે. બીજી તરફ, લોકો કોરોનાના ભયને કારણે પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળા તેમજ દવાઓ લઈ રહ્યા છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યભરના દવાના માર્કેટમાં છેલ્લા 8 મહિનામાં 100 ટકાનો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને શરદી, ખાસી, તાવની દવામાં 80 ટકા જેટલો વધારો નોંધાયો છે.
શરદી, ખાસી, તાવની દવાઓના વેચાણમાં 70થી 80 ટકાનો વધારો
ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન( FGSCDA)ના પ્રેસિડેન્ટ અલ્પેશ પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં કોરોના મહામારીની રાજ્યમાં શરૂઆત થયા બાદ દવાના વ્યવસાયમાં 100 ટકાનો વધારો થયો છે, કારણ કે કોવિડને લગતી કેટલીક પ્રોડક્ટોની ડિમાન્ડ મોટા પ્રમાણમાં વધી ગઈ છે, જેમ કે મલ્ટીવિટામિન, વિટામિન-સી કે પછી કેટલીક ઇજેક્ટેબલ જે હોસ્પિટલમાં દર્દીઓ માટે વપરાય છે. એ તમામ પ્રોડક્ટના વેચાણમાં વધારો થયો છે, સાથે જ શરદી, ખાસી, તાવ જેવી દવાઓના વેચાણમાં 70થી 80 ટકાનો વધારો થયો છે. એ સિવાય અન્ય બીમારીઓ, જેવી કે પેટમાં દુખાવો, બીપીની દવા, એન્ટીબાયોટિક, પેરાસિટામોલ વગેરેના વેચાણમાં 40થી 50 ટકાનો વધારો નોંધાયો છે.
લોકો એકસાથે 10-10 પેકેટની ખરીદી કરી લે છે
તેમણે વધુમાં કહ્યું, સામાન્ય દિવસોમાં જે લોકો મેડિકલમાંથી એક-બે પેકેટ દવાના લઈ જતા હોય છે, ત્યારે કોરોનાકાળ દરમિયાનથી લોકો એકસાથે 10-10 પેકેટની ખરીદી કરી લે છે, જેને કારણે મોટા ભાગના મેડિકલ સ્ટોર પણ જથ્થાબંધ દવાઓની ખરીદી કરી રહ્યા છે. બીજી તરફ, કોરોનાની શરૂઆતમાં આયુર્વેદિક દવાઓનું માર્કેટ ખૂબ જ વધી ગયું હતું, પરંતુ સેકન્ડ વેવ આવ્યો તેમાં આયુર્વેદિક દવાના વેચાણમાં કોઇ ખાસ વધારો જોવા મળ્યો નથી, પરંતુ આયુર્વેદિક દવાઓમાં સુદર્શન ઘનાવતી, ગિલોઈ, સમસનવતી જેવી દવાઓનું વેચાણ સારું રહ્યું છે.
એન્ટીબાયોટિક દવાઓના વેચાણમાં 50થી 70 ટકા જેટલો વધારો
લોકોમાં કોરોનાના ડરને કારણે બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓના કેસમાં વધારો થતાં એની દવાઓ પણ મોટે પાયે વેચાઈ રહી છે. મોટા ભાગના લોકો તો સામાન્ય શરદી-તાવમાં પણ ભારે દવાઓ લઈ રહ્યા છે. ત્યારે કેટલાક બિનજરૂરી ઘરમાં દવાનો સ્ટોક વધારી રહ્યા છે. અનેક પ્રકારની એન્ટીબાયોટિક, પેરાસિટામોલ તેમજ પેટના દુખાવાની દવાઓની કિંમતમાં 20 ટકાથી વધુનો વધારો થયો છે, જ્યારે એન્ટીબાયોટિક દવાઓમાં પણ 50થી 70 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. એલોપથી દવાઓની સાથે સાથે આયુર્વેદિક દવાઓ પણ જથ્થામાં ખરીદાય છે. ઈમ્યુનિટી પાવર વધારવા માટે મોટા ભાગના લોકો આયુર્વેદિક દવા લે છે, જેને કારણે તેના વેચાણમાં પણ 50 ટકાની આસપાસ વધારો થયો છે.
કોરોનાને સંબંધિત ઘણી દવાઓ માર્કેટમાં લોન્ચ થઈ
ડિમાન્ડ વધતાં દવાઓના ભાવમાં વધારાની સાથે ઘણી નવી દવાઓ પણ લૉન્ચ કરવામાં આવી છે. એક્સપર્ટ અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં નવી દવાઓના વેચાણમાં પાછલા 36 મહિનાની તુલનામાં વાર્ષિક આધાર પર 3.8 ટકાનું નોંધાયું છે. કોરોના વાઈરસથી સંબંધિત ઘણી દવાઓ માર્કેટમાં લૉન્ચ કરવામાં આવી છે અને આ દવાઓની કિંમતો ઘણી વધારે છે. છેલ્લા કેટલાક મહિનામાં કોરોના વાઈરસની દવા બનાવતી કંપનીઓના વેચાણમાં પણ મોટો સુધારો જોવા મળ્યો છે. દવાની સાથે હેન્ડ સેનિટાઈઝર, માસ્ક સહિતની અન્ય મેડિકલને લગતી ચીજવસ્તુઓનું વેચાણ મોટે પાયે થઈ રહ્યું છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં ડિમાંડ વધતાં એના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અલગ-અલગ પ્રકારના સેનિટાઈઝર તેમજ માસ્કની કિંમત 50 રૂપિયાથી 300 રૂપિયાની આસપાસ હોય છે.
કોરોના બાદ લોકોની જીવનશૈલીમાં પણ મોટા ફેરફાર થયા
* દરરોજ સવારે યોગ-વ્યાયામ કરવાનું પ્રમાણ વધ્યું.
* સંતુલિત આહાર લેવાનું પ્રમાણ વધ્યું.
* કોરોના કેવી રીતે ફેલાય છે, એની સામે કેવી રીતે લડી શકાય સહિતની બાબતોથી માહિતગાર થયા.
* આયુર્વેદિક ઔષધિથી રોગપ્રતિકારક શક્તિ વધારવા તરફ લોકોનો ઝોક વધ્યો.
* દિવસમાં એક કરતાં વધારે વખત સ્નાન કરવું, હાથ સતત સેનિટાઈઝ કરવા, માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવી બાબતો પર લોકો વિશેષ ભાર આપતા થયા.