– મેનુ જોઈને ફેંકી દેવાનું રહેશે, સલાડ જેવા પદાર્થ નહીં મળે
પાંચ ઓક્ટોબરથી ખુલી રહેલા રેસ્ટોરાં, હોટેલ્સ, ફૂડ કોર્ટ અને સ્ટોલ માટે રાજ્ય સરકારે ઓપરેટિંગ પ્રોસિજર્સ (એલઓપી) જારી કરી છે. હોટેલિયરો અને રેસ્ટોરાં માલિકો મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેને ગયા મહિને મળીને વહેલાસર વ્યવસાય ચાલુ કરવાની પરવાનગી આપવા જણાવ્યું હતું.
૫૦ ટકા બેઠક ક્ષમતા સાથે હોટેલો અને ફૂટકોર્ટ ચાલુ થઈ રહી છે. ટુરિસ્ટ ડિપાર્ટમેન્ટના પ્રધાન સચિવે આપેલી નિયમાવલી અનુસાર ગ્રાહકોને પ્રવેશ પર સ્ક્રીન કરવા પડશે જેમકે ટેમ્પરેટર, ઉધરસ અને શરદીના લક્ષણો ચકાસવાના રહેશે.
જમવા સિવાય દરેક સમયે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવવાનું આવશ્યક રહેશે. પ્રશાસન અને હેલ્થ ઓથોરિટી સાથે તેમની વિગત શેર કરવા માટેની સંમતિ મેળવવાની રહેશે જેથી કોન્ટેક ટ્રેસિંગમાં મદદ મળી શકે.
આ રેકોર્ડ ૩૦ દિવસ સુધી જાળવવાનો રહેશે. હેન્ડ સેનિટાઈઝર અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનું રહેશે. રોકડ વ્યવહાર સમયે સાવચેતી જરૂરી છે. રોગ લાગે નહીં એ માટે મેનુ જોઈને નિકાલ કરી શકાય તેવા હોવા જોઈએ. કયુઆર કોડ દ્વારા મેનુને પ્રોત્સાહન આપવું જોઈશે.
રેસ્ટ રૂમ અને હેન્ડ વોશ એરિયાની રેગ્યુલર સફાઈ થવી જોઈએ. કાઉન્ટર પર સ્ક્રીન અથવા કાચનું પાર્ટિશન હોવું જરૂરી બનશે. પ્રવેશ અને પ્રસ્થાનના અલગ દ્વાર હોવા જોઈશે. મેનુમાં માત્ર રાંધેલી આઈટમ હોવી જોઈએ. કાચું કે ઠંડુ ખાવાનું જેવા કે સલાડને ટાળવા પડશે અને સીસીટીવી કેમેરા સક્રિય રહેવા જરૂરી છે. રોજ ફર્નિચરનું નિર્જંતુકરણ થવું જોઈએ. વાસણો ગરમ પાણીમાં ધોવા પડશે. સ્ટાફે કોવિડ-૧૯ ટેસ્ટ કરવાનો અને એન-૯૫ માસ્ક અથવા એ મુજબનું માસ્ક પહેરવું જરૂરી છે.